એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાંથી સિંહપ્રેમીઓ માટે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી વન વિભાગ હેઠળ આવતી ગીર પૂર્વની પ્રખ્યાત દલખાણીયા રેન્જમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મળતી વિગતો મુજબ, દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા એક સ્થાનિક મંદિરના પાછળના ભાગમાંથી સિંહનો આ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે.
નર સિંહનું મોત થતાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને જોતાં દલખાણીયા રેન્જના વન અધિકારીઓ અને ટ્રેકર્સ સહિતનો ઉચ્ચ વન કર્મચારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલો વનરાજ પૂર્ણ વિકસિત 'નર સિંહ' હોવાનું સામે આવ્યું છે. વન વિભાગની ટીમે સિંહના નખ, દાંત અને વાળ જેવા અંગો સુરક્ષિત છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી, આસપાસના વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.













