અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાંથી કૌટુંબિક અને જમીન વિવાદમાં લોહીયાળ હુમલો થયો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. કુકોલ (દહેગામડા) ગામે જમીનની માલિકી બાબતે ચાલી રહેલા જૂના વિવાદે અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખેતરમાં જ્યારે મકાનનો પાયો ખોદવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ સગા ભાઈ-ભાભી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે વાત મારામારી પર આવી પહોંચી હતી અને જોખમી હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.


સ્થાનિક યુવકે વચ્ચે પડી દંપતીનો જીવ બચાવ્યો

આ હિંસક ઝઘડા દરમિયાન સગા ભાઈ અને ભાભીએ ઉશ્કેરાઈને કુહાડી તેમજ ધારીયા જેવા ધારદાર હથિયારો વડે દંપતી (પતિ-પત્ની) પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પતિ-પત્ની બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલા દરમિયાન થયેલી ચીસાચીસ અને બુમાબુમ સાંભળીને આસપાસથી એક સ્થાનિક યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો. આ યુવકે વચ્ચે પડીને દંપતીને વધુ માર ખાવામાંથી અને મોટી હોનારતમાંથી બચાવી લીધા હતા. હુમલો કરનાર આરોપીઓ જતા-જતા દંપતીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

ભાઈ અને ભાભી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

ઘટનાની જાણ થતાં જ શામળાજી પોલીસનો કાફલો તાત્કાલિક કુકોલ ગામે પહોંચ્યો હતો. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને બંને ઇજાગ્રસ્ત પતિ-પત્નીને તાત્કાલિક સારવાર અર્થે ઇસરી સીએચસી (CHC) હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે ભોગ બનનાર દંપતીની ફરિયાદના આધારે શામળાજી પોલીસે સગા ભાઈ વિશ્રામભાઈ બારીયા અને ભાભી સુશીલાબેન બારીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરવા અને ફરાર થઈ ગયેલા ભાઈ-ભાભીને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: