અરવલ્લી જિલ્લામાં ભૂ-માફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત સામે કિસાન સભા અને ખેડૂતોએ ઉગ્ર મોરચો માંડ્યો છે.ખેડૂતોની કિંમતી જમીનો ખોટા દસ્તાવેજોના આધારે પડાવી લેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે જિલ્લા કલેક્ટરને એક સવિસ્તર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ખેડૂતોનો આરોપ છે કે જિલ્લામાં મોટા પાયે જમીન કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં વર્ષો જૂના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને એક જ જમીનના બે-બે વખત વેચાણ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. 


વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે પણ નારાજગી

જિલ્લાના શિણોલ ગામની જમીનોના વેચાણ અને તેની ફેરફાર નોંધોમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.જેની તટસ્થ અને ઊંડી તપાસ કરવાની માંગ ઉઠી છે.આ ઉપરાંત, માલપુર તાલુકાના અનેક સર્વે નંબરોમાં પણ ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા જમાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.ખેડૂતોએ વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.

જિલ્લા વ્યાપી ઉગ્ર ખેડૂત આંદોલનની ચીમકી

ખેડૂતોએ રજૂઆતમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે,બાયડ કલેક્ટર કોર્ટમાં ચાલી રહેલા જમીનના કેસોની તારીખો સમયસર અપડેટ કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોને ન્યાય મેળવવામાં ભારે વિલંબ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કિસાન સભા અને પીડિત પરિવારોએ આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા તમામ ભૂ-માફિયાઓ અને તેમને છાવરતા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડૂત નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે વહેલી તકે તટસ્થ તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર અરવલ્લી જિલ્લા વ્યાપી ઉગ્ર ખેડૂત આંદોલન છેડવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Weather: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી



  • Follow us on: