રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામેથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક આધેડ વયના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ચકચારી ઘટના તોરણીયા ગામમાં આવેલી એક ફ્લોર મિલની અંદર જ ઘટી હતી, જ્યાં વ્યક્તિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે નાનકડા એવા તોરણીયા ગામમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
46 વર્ષીય સચીનભાઈ ભદ્રેસરાનું નિધન
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ સચીનભાઈ વિનોદભાઈ ભદ્રેસરા (ઉંમર આશરે 46 વર્ષ) તરીકે થઈ છે. મૃતક સચીનભાઈ મૂળ ધોરાજીના હિરપરા વાડી વિસ્તારના રહેવાસી હતા અને તોરણીયા ગામે ફ્લોર મિલ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રોજની જેમ તેઓ પોતાની મિલ પર આવ્યા હતા, જ્યાં તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. મિલના સંચાલકે જ ત્યાં ફાંસો ખાઈ લેતા આસપાસના વેપારીઓ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.













