બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે સમસ્ત કોળી-ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન યોજાઈ ગયું. તાજેતરમાં સમાજના આગેવાન પ્રવિણ મકવાણા પર થયેલા જાનલેવા હુમલાના વિરોધમાં અને સમાજ સાથે થઈ રહેલા કથિત અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતભરમાંથી કોળી અને ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવા નેતાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
વસ્તી આધારિત બજેટ ફાળવવાની માંગ
સંમેલનમાં મુખ્યત્વે સમાજના અધિકારો અને રાજકીય-સામાજિક અન્યાયના મુદ્દાઓ છવાયા હતા. આગેવાનોએ એકસૂરે માંગ કરી હતી કે સમાજના નિર્દોષ યુવાનો પર કરવામાં આવેલા ખોટા પોલીસ કેસો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. આ ઉપરાંત, કોળી-ઠાકોર વિકાસ નિગમમાં સમાજની વસ્તીના સપ્રમાણના આધારે પૂરતું બજેટ ફાળવવામાં આવે તેવી આર્થિક માંગ પણ સરકાર સમક્ષ મૂકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.













