સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. એશિયાની પ્રખ્યાત ડેરીઓમાં સ્થાન ધરાવતી સાબર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા વાર્ષિક ભાવફેરની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સાબર ડેરી આગામી 29 જૂનના રોજ બંને જિલ્લાના પશુપાલકોના ખાતામાં ભાવફેરની કરોડો રૂપિયાની રકમ જમા કરાવશે, જેને પગલે ગ્રામ્ય અર્થતંત્રમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


સાધારણ સભા પહેલાં જ વહીવટી તંત્રનો મોટો નિર્ણય

સાબર ડેરી ખાતે યોજાયેલી મહત્વની બોર્ડ મીટિંગમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે યોજાતી ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલાં જ પશુપાલકોના હાથમાં આ નાણાં સોંપી દેવાનું વહીવટી મંડળે નક્કી કર્યું છે. બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર, વર્ષ 2025-26 માટેનો વાર્ષિક સરેરાશ ભાવ 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરવામાં આવ્યો છે, જે પશુપાલકોની મહેનતનું યોગ્ય વળતર પૂરું પાડશે.


દૂધ મંડળીઓ મારફતે ચૂકવાશે રૂ. 560 કરોડની માતબર રકમ

સાબર ડેરી દ્વારા બંને જિલ્લાના પશુપાલકોને કુલ 560 કરોડ રૂપિયાની માતબર રકમનો ભાવફેર ચૂકવવામાં આવશે. આ ચૂકવણી અંદાજિત 15 ટકા કરતાં પણ વધુના ભાવફેર સાથે થવાની છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદાજે 1800 જેટલી સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં આગામી 29 તારીખે ડેરી દ્વારા સીધી રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે, જેનું બાદમાં પશુપાલકોમાં વિતરણ થશે.

સાડા ત્રણ લાખ પરિવારોમાં દિવાળી જેવો માહોલ

ચોમાસાની શરૂઆત અને વાવણીના આ સમયગાળામાં પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે સાબર ડેરીનો આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે. ખેતી અને પશુપાલન પર નભતા સાડા ત્રણ લાખથી વધુ પરિવારોને સીધો આર્થિક ફાયદો થવાનો હોવાથી તેમના ઘરોમાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સાબર ડેરીના આ ઐતિહાસિક નિર્ણયને પશુપાલક આલમે ખુલ્લા દિલથી આવકાર્યો છે.


આ પણ વાંચો - Sabarkantha News: સાબરકાંઠામાં 'ફર્ટિલાઈઝર સેલ પ્રોજેક્ટ' સામે ખેડૂતોનો આક્રોશ, કલેક્ટર કચેરીએ કર્યા સૂત્રોચ્ચાર



  • Follow us on: