જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેશોદની એક જાણીતી હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને પીરસવામાં આવેલા દાળ-ભાતમાંથી જીવતી ઇયળ નીકળી હતી. આ દ્રશ્ય જોતાં જ ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. હોટલની રસોઈમાં શુદ્ધતા અને હાઈજીનના નામે કેવા લીરેલીરા ઊડી રહ્યા છે, તેનો જીવતો જાગતો પુરાવો આ ઘટના પરથી સામે આવ્યો છે. પૈસા ખર્ચીને હોટલોમાં શુદ્ધ ભોજનની આશા રાખતા નાગરિકો માટે આ કિસ્સો ભારે આંચકાજનક છે.
ભૂલ સ્વીકારવાના બદલે હોટલ સંચાલક ગુસ્સે ભરાયો
ભોજનમાંથી ઇયળ નીકળ્યા બાદ જ્યારે જાગૃત ગ્રાહકે નમ્રતાપૂર્વક આ બાબતની હોટલના મેનેજર અને સંચાલકને ફરિયાદ કરી, ત્યારે હોટલ માલિકે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવાને બદલે ગ્રાહક પર જ ગુસ્સે થવાનું શરૂ કરી દીધું હતું. સંચાલકે ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કરી મામલો રફા-દફા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે હોટલમાં ભારે હોબાળો અને ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોએ હોટલ તંત્રની આ દાદાગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આખી ઘટનાનો વીડિયો પણ કેમેરામાં કેદ કરી લીધો હતો.













