જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી પ્રજાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેશોદની એક જાણીતી હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને પીરસવામાં આવેલા દાળ-ભાતમાંથી જીવતી ઇયળ નીકળી હતી. આ દ્રશ્ય જોતાં જ ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. હોટલની રસોઈમાં શુદ્ધતા અને હાઈજીનના નામે કેવા લીરેલીરા ઊડી રહ્યા છે, તેનો જીવતો જાગતો પુરાવો આ ઘટના પરથી સામે આવ્યો છે. પૈસા ખર્ચીને હોટલોમાં શુદ્ધ ભોજનની આશા રાખતા નાગરિકો માટે આ કિસ્સો ભારે આંચકાજનક છે.


ભૂલ સ્વીકારવાના બદલે હોટલ સંચાલક ગુસ્સે ભરાયો

ભોજનમાંથી ઇયળ નીકળ્યા બાદ જ્યારે જાગૃત ગ્રાહકે નમ્રતાપૂર્વક આ બાબતની હોટલના મેનેજર અને સંચાલકને ફરિયાદ કરી, ત્યારે હોટલ માલિકે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવાને બદલે ગ્રાહક પર જ ગુસ્સે થવાનું શરૂ કરી દીધું હતું. સંચાલકે ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કરી મામલો રફા-દફા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે હોટલમાં ભારે હોબાળો અને ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોએ હોટલ તંત્રની આ દાદાગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આખી ઘટનાનો વીડિયો પણ કેમેરામાં કેદ કરી લીધો હતો.

નગરપાલિકાના આરોગ્ય વિભાગ સામે ઉઠ્યા સવાલો

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કેશોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક રહીશો અને ગ્રાહકો આક્ષેપ કરી રહ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા આવી હોટલોમાં સમયસર ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે જ હોટલ સંચાલકો બેફામ બન્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. હાલમાં જનતા દ્વારા આ બેદરકાર હોટલને તાત્કાલિક સીલ કરવા અને સંચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: