જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી રખડતા ઢોરના આતંકની એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. માંગરોળના શેરીયાજબારા બંદર વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધના કારણે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર માંગરોળ પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
આખલાઓએ 4-5 લોકોને લીધા અડફેટે, મચી દોડધામ
શેરીયાજબારા બંદરે જ્યારે બે આખલાઓ હિંસક બનીને એકબીજા સાથે લડી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા સામાન્ય નાગરિકો આ યુદ્ધની ચપેટમાં આવી ગયા હતા. બેકાબૂ બનેલા આખલાઓએ ત્યાં હાજર ચારથી પાંચ લોકોને જોરદાર અડફેટે લેતા અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.













