પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મુખ્યમંત્રી વતી વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ ૨,૦૨,૦૬૪ હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે.
પાટણના ખેડૂતોને મળશે સિંચાઈના પાણીનો લાભ
આ અંગે મંત્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત બોલેરા શાખામાં ૩૮,૯૫૦ હેક્ટર, રાજપુરા શાખામાં ૫૧,૪૪૮ હેક્ટર, અમરાપુરામાં ૩૬૨૪૬ હેક્ટર, ઝીંઝુવાડામાં ૪૩૧૨ હેક્ટર, રાધનપુર શાખામાં ૪૭૦૮૬ હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં ૨૪૦૨૨ હેક્ટર એમ કુલ છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જેના દ્વારા કુલ ૨,૦૨,૦૬૪ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.વધુમાં, નર્મદા યોજના અંતર્ગત નક્કી થયેલા કમાન્ડ વિસ્તાર પૈકી સમગ્ર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.