રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ –૨૦૨૫ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં "સડક સુરક્ષા, જીવન રક્ષા -પરવાહનો ઉદ્ઘાટન સમારોહ જિલ્લા કલેકટર કે. સી. સંપટની પ્રેરક ઉપસ્થિતિમાં સી. યુ. શાહ યુનિવર્સિટી, ઓડીટોરીયમ હોલ, કોઠારીયા રોડ ખાતે યોજાયો હતો.માર્ગ સલામતી માસના શુભારંભ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી. સંપટે "સડક સુરક્ષા, જીવન રક્ષા -પરવાહ” અભિયાન અન્વયે રોડ સેફ્ટી નિયમો અને રોડ અકસ્માતથી બચવા લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં સમજ આપી હતી.


વાહનચાલકોને કર્યો અનુરોધ

કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમો, રોડ સેફ્ટી નિયમો, કાયદાઓ વિશે લોકો જાગૃત થાય તે માટે વિવિધ શાળાઓ, જુદાજુદા સ્થળોએ લોકોજાગૃતિ સેમિનારો – કાર્યક્રમો જિલ્લામાં એક મહિના દરમ્યાન કરવામાં આવશે. રોડ સેફ્ટી અને ટ્રાફિકને લગતા નિયમો - કાયદાઓનું સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કર્યો હતો.

આરટીઓના અધિકારીઓ રહ્યાં હાજર

આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી રિધ્ધિ ગુપ્તે તથા એ.આર.ટી.ઓ પી.કે.પટેલ દ્વારા રોડ સેફટી માસ તથા કાર્યક્રમ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જિલ્લામાં ૩૧ જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમા ખાસ કરીને શેરી નાટકો, જુદા જુદા કેમ્પેઇન સહિત સ્લોગનના માધ્યમથી સૌને જાગૃત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝા, માર્ગ સલામતી સમિતિ સુરેન્દ્રનગરના સભ્યો, ટ્રક એસોસિયશનના હોદેદારશ્રીઓ તેમજ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કમર્ચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: