આજથી દિલ્લી અને ભુજ વચ્ચે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. ત્યારે વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ ભુજ એરપોર્ટ પહોંચતા વોટર કેનનથી સલામી આપવામાં આવી હતી અને ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ભુજ દિલ્લી વચ્ચે શરૂ થયેલી આ હવાઈ સેવા એનઆરઆઈ લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
ભુજથી દિલ્હીનો પ્રવાસ કરતા મુસાફરોમાં એક અલગ જ આનંદ જોવા મળ્યો
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી ભુજ-દિલ્હી વચ્ચે ફ્લાઈટ શરૂ કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. આજથી ભુજ-દિલ્હી વચ્ચે નવી ફલાઈટ શરૂ થતાં ભુજથી દિલ્હીનો પ્રવાસ કરતા મુસાફરોમાં એક અલગ જ આનંદ જોવા મળ્યો હતો. જ્યારે કચ્છી એન.આર.આઈ. લોકો માટે આ ફ્લાઈટ ખુબ જ મહત્વની સાબિત થશે. ફ્લાઈટ શરૂ થવાની ઘણા લોકોનો સમય બચશે અને ઓછા સમયમાં તેઓ પોતાના વતન કે કામના સ્થળે પહોંચી શકશે. અગાઉ ડાયરેક્ટ દિલ્લીની ફ્લાઈટ નહીં હોવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
મુસાફરોના સમય અને નાણાંની બચત થશે
ભુજ અને દિલ્લી વચ્ચે હવાઈ સેવ ચાલુ થવાના કારણે સમય અને નાણાંની પણ બચત થશે. આ ફ્લાઈટ દિલ્હી એરપોર્ટથી બપોરે 3 વાગ્યે ઉપડી ભુજ એરપોર્ટ ખાતે 4.30 વાગ્યે આવશે અને ભુજ એરપોર્ટ સાંજે 5.30 વાગ્યે ઉપડીને 7 વાગ્યે સાંજે દિલ્હી એરપોર્ટ પહોંચશે.ભુજ દિલ્લી વચ્ચે નવી ફ્લાઈટ સેવા ચાલુ થવાથી પ્રવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ પ્રવાસન અને ઔદ્યોગીક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ રણોત્સવમાં આવી રહ્યા છે. ભુજ દિલ્લી વચ્ચે ફ્લાઈટ સેવા ચાલુ થવાના કારણે કચ્છના પ્રવાસને પણ વેગ મળશે.