કમોસમી વરસાદના પગલે ઉભા ખરીફ પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસના પાકને બચાવવા કે પાકની સ્થિતિ સુધારી શકાય તે માટે ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે ઉપયોગી સૂચનાઓ બહાર પાડી છે.


અચાનક આવતો સુકારો અટકાવી શકાય

હાલની સ્થિતિ મુજબ કમોસમી વરસાદથી કપાસમાં પહેલી વીણીનું રૂ પલળી જવું અથવા બીજી વીણીનો ફાલ ખરવાનો પ્રશ્ન છે. સાથે જ વરસાદ બાદ પાણી ભરવાથી ફૂગથી સુકારો લાગવાની સંભાવના પણ રહેલી છે.પાણી નિકાલ થયા બાદ તડકો વધવાથી જમીનની પરિસ્થિતિ બદલાતા ઓક્સિજનની અછત સર્જાતા પેરાવિલ્ટની સંભાવના (જેમાં અચાનક છોડ સુકાઈ જવા, જીંડવા અપરિપકવ હોય તો પણ ફાટી જવા) છે. ત્યારે તત્કાલ કરવાના થતાં ઉપાયોમાં પાણી ભરાઈ ગયા હોય તો પાણીનો નિકાલ કરવો, જમીનમાં ઓક્સિજનની અછત ન સજાર્ય એ માટે સળિયાથી થડની બાજુમાં ચાર આંગળ દૂર કાણા કરી દેવા. આ ઉપાય તત્કાલ કરવો જેથી કપાસમાં એકી સાથે અચાનક આવતો સુકારો અટકાવી શકાય.

ગુણવત્તા ન બગડે અને વક્કલ મુજબ ભાવ મળી રહે

ઉપરાંત કપાસના પાકમાં ફૂગ લાગતી અટકાવવા માટે ફૂગનાશક દવાઓ જેવી કે મેન્કોઝેબ અને કાર્બેન્ડાઝીમ પાવડરનું અથવા કોપર ઓક્સીક્લોરાઈડ અથવા ટેબ્યુકોનાઝોલ અથવા એઝોક્સીસ્ટ્રોબીન છંટકાવ કે ડ્રેચિંગ કરવું. તેમજ ફાલ ખરતો અટકાવવા સૂક્ષ્મ તત્વનો ખાસ કરીને બોરોન યુક્ત સૂક્ષ્મ તત્વનો છંટકાવ કરવો. તદુપરાંત વીણી સમયે ભીનું થયેલું રૂ અલગ રાખવું જેથી સારા રૂ ની ગુણવત્તા ન બગડે અને વક્કલ મુજબ ભાવ મળી રહે.પ્રાકૃતિક- સજીવ ખેતીમાં ફૂગનાશક દવાના બદલે ટ્રાઇકોડર્મા વીરીડી અને સ્યુડોમોનાસને થડની બાજુમાં ડ્રેચિંગ કરવું અથવા ખોળ/સેન્દ્રિય ખાતરમાં ભેળવી પુંખી દેવુ. તેમજ ટ્રાઇકોડર્માનો છોડ પર છંટકાવ કરવાથી તાણની પરિસ્થિતિ સામે પાકને રાહત મળશે.


  • Follow us on: