બજારમાં વ્યાજબી ભાવે સરળતાથી ઘઉં મળી રહે અને તેની સંગ્રહખોરી અટકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.૩૧મી માર્ચ ૨૦૨૬ સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવાઇ છે. નોંધનીય છે કે, તા.૨૭ મે, ૨૦૨૫થી ઘઉંની સંગ્રહખોરી કાબુમાં રહે તે હેતુથી ઘઉંના વેપાર પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.
કેપેસીટી મુજબ સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી
ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળી રહે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેઈલર્સ, બીગ ચેન રીટેઈલર્સ અને પ્રોસેસર્સ પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે. જેમાં ટ્રેડર, હોલસેલર માટે ૨૦૦૦ મેટ્રીક ટન, રીટેલર અને બીગ ચેઈન રીટેલર માટે ૮-૮ મેટ્રીક ટન તેમજ પ્રોસેસર માટે ૬૦ ટકા કેપેસીટી મુજબ સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે.













