ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના પ્રાયોગિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં રહેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેને ઓડિશા રાજ્યમાં અમલી બનાવવાનો હતો.
પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય બાગાયતી મોડેલ
આ દરમિયાન અધિકારીઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા શિયાળુ પાકો તેમજ વિવિધ શાકભાજીના પ્લોટોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના તૈયાર થયેલા પાકોની ગુણવત્તા નિહાળી અધિકારીઓ વિશેષ પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્ય ડો.સ્વપ્નિલ દેશમુખ દ્વારા ‘પ્રાકૃતિક કૃષિ પંચસ્તરીય બાગાયતી મોડેલ’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.













