ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.૧૨ હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા ૧૦,૦૧,૭૨૪ છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ ૮,૨૩,૭૪૩ લાભાર્થીઓ છે.
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી
પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, ખરીદ કરવામાં આવેલ ૧૮,૦૫,૬૧૨.૧૬ મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. ૧૨,૯૬૫.૩૭ કરોડ છે, જેમાંથી ૬,૩૩,૧૪૯ લાભાર્થીઓને રૂ. ૯,૯૦૭.૮૬ કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં તા. ૧ થી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં કુલ ૧૦,૧૧,૯૩૬ ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ છે. મગફળી પાકમાં ગયા વર્ષે ૩.૭૪ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, તેની સામે આ વર્ષે ૯.૩૧ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે ૨૦.૧૦ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા. ૯ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ થઈ છે અને તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે.













