મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા પ્રજા ભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટર અને અધિક કલેકટરો સાથે વી.સી.ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રીવ્યુ લેવામાં આવ્યો હતો.


રીવ્યુ કરીને આ કામગીરી ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે

આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજયમાં જુની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરી ની ઝુંબેશના ભાગરુપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે અને સતત રીવ્યુ કરીને આ કામગીરી ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

અનધિકૃત ધાર્મિક બાંધકામો નિયત પ્રક્રિયા અનુસરીને દૂર કરાશે

રાજયના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનો વી.સી.માં રીવ્યુ લેવામાં આવેલ હતો જેમાં દૂર કરવામાં આવેલ અને રી-લોકેટ કરવામાં આવેલ ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામો નિયત પ્રક્રિયા અનુસરીને દૂર કરવા અને રી-લોકેટ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા ગૃહ સચિવ નિપુર્ણા તોરવણે દ્વારા કલેકટરોને સુચના આપવામાં આવેલ હતી. જે બાબતે જિલ્લાતંત્ર દ્વારા જરુરી સહયોગ ગૃહ વિભાગને મળી રહે તે માટે ડો. રવિ દ્વારા દિશાનિર્દેશ કરવામાં આવેલ હતા.

જરુરી સુચનાઓ કલેકટરોને આપવામાં આવી

આ ઉપરાંત જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન અને અન્ય મહેસૂલી ભવનોના બાંધકામ ટાઇપ ડીઝાઇન મુજબ જ થાય તેમજ જમીન ફાળવણીની કામગીરી પણ માપણીની કામગીરી સમયસર પૂર્ણ કરીને ઝડપથી કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગના પરામર્શમાં જરુરી સુચનાઓ કલેકટરોને આપવામાં આવેલ હતી. ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે ઇ-ગવર્નંસના માધ્યમથી  જિલ્લાકક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઇ શકે તેમજ મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા આવે તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી કલેકટર / નિવાસી અધિક કલેકટરની આવી વી.સી. કોન્ફરન્સીસ એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ માધ્યમ બની રહેલ છે. 

  • Follow us on: