પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 20માં હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. 20મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે.આ યોજનાનો આગામી 20મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે.એટલા માટે જ બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે
રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.
ખેડૂતોને ખાતામાં હપ્તાની રકમ મળશે
આ યોજના હેઠળ સરકાર લગભગ દર 4 મહિનાના અંતરાલ પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો બહાર પાડે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવાની જોગવાઈ છે આ રીતે વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. સરકાર હપ્તાની રકમ ખેડૂતોને તેમના ખાતામાં સીધા બેંક ટ્રાન્સફર દ્વારા મોકલે છે.