પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં હાલમાં ખેડૂતોને ખાતર મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરસ્વતીના મેલુસણ ખાતે આવેલા પ્રધાનમંત્રી એગ્રો સેન્ટર પર ખાતર લેવા માટે ખેડૂતોની સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. તેમ છતાં ઘણા ખેડૂતોને નિરાશ થઈને પાછા ફરવું પડે છે. ખેડૂતો હાલમાં રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. એક તરફ તેઓ પાકને બચાવવા માટે રાત્રે પિયતના ઉજાગરા કરે છે.


મેલુસણ સેન્ટર પર ખાતર માટે ખેડૂતોની કતારો

તો બીજી તરફ સવારે વહેલા ઉઠીને ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડે છે. મેલુસણ સેન્ટર પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગેલી હોય છે. આટલી લાંબી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ ખેડૂતોને ખાતર મળશે કે નહીં તેની કોઈ ખાતરી હોતી નથી. ઘણા ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર ન મળતાં નિરાશ થઈને ખાલી હાથે ઘરે પાછા ફરે છે. ખેડૂતોની આ સ્થિતિ ખૂબ જ દયનીય છે.

લાઇનમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને નથી મળતુ ખાતર

સમયસર ખાતર ન મળવાના કારણે તેમના પાકને મોટું નુકસાન થવાનો ભય રહે છે. જે સીધી રીતે તેમની આર્થિક સ્થિતિને અસર કરે છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી કરીને તેમણે આ રીતે વલખાં ન મારવા પડે અને સમયસર પોતાના પાકને જરૂરી પોષણ આપી શકે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે મેલુસણ સેન્ટર પર ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે પગલાં લેવા અનિવાર્ય છે.


  • Follow us on: