અમદાવાદમાં પ્લેન ક્રેશ બનેલી મોટી દુર્ઘટનામાં સવાર લગભગ તમામ લોકોના મોત થયા છે, ત્યારે બોટાદના ગઢડાના અડતાળાના દંપતીનું પણ આ પ્લેનમાં સવાર હતું. હાર્દિક અવૈયા અને તેમની પત્ની વિભૂતિ એક મહિના પહેલા અડતાળા આવ્યા હતા અને આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લંડન જઈ રહ્યા હતા. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટે એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ તરત જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગઢડા તાલુકાના અડતાળા ગામના પતી પત્ની હોવાનું સામે આવ્યું.
તમને જણાવી દઈએ કે અડતાળા ગામના અને લંડન રહેતા હાર્દિક દેવરાજભાઈ અવૈયા અને તેમના પત્ની વિભૂતિબેન હાર્દિકભાઈ પ્લેનમાં લંડન જવા નીકળ્યા હતા. હાર્દિકભાઈ અવૈયા લંડન રહેતા હતા, પરંતુ એક મહિના પહેલા અડતાળા આવ્યા હતા. અડતાળાથી થોડા દિવસ પહેલા સુરત રહેતા તેમના ભાઈના ઘરે હતા અને આજે બંને લંડન જવા પ્લેનમાં નીકળ્યા હતા. પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા હાર્દિકભાઈના પિતાએ દેવરાજભાઈએ ફોન કરેલો ત્યારે જણાવવામાં આવ્યું હતું કે પ્લેનમાં બેસી ગયા ત્યારબાદ કોઈ સમાચાર નથી. ત્યારે હાર્દિકભાઈનો ભાઈ સુરતથી અમદાવાદ જવા રવાના થયા હોવાનું હાર્દિકના પિતાએ જણાવ્યું હતું. આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા અડતાળા ગામે હાર્દિકભાઈના પરીવાર અને ગામમાં દુ:ખનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે અને દુર્ઘટનાસ્થળે પહોંચીને તેમને નિરીક્ષણ કર્યુ છે. હાલમાં ગૃહ મંત્રી અમિત શાહની સર્કિટ હાઉસમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે. આ સિવાય સાંસદ, શહેર પોલીસ કમિશનર સાથે બેઠક યોજી છે. કોર્પોરેશનના અધિકારી, ઉડ્યન અધિકારી અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ પણ હાજર છે.