વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ રાજ્ય સરકારે ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરી નાંખ્યા છે. હવે અધિકારીઓ રાજ્યના અન્ય બ્રિજોની તપાસ માટે દોડી રહ્યાં છે. અમદાવાદમાં અધિકારીઓ દ્વારા બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું છે. શહેરમાં વિવિધ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું હતું. બ્રિજમાં દેખાયેલી ખામીઓની અધિકારીઓએ નોંધ લીધી હતી. બીજી તરફ શહેરા હાટકેશ્વર બ્રિજને પણ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજને તોડવાનો 3.09 કરોડનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરાશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવાયું હતું.


ઈન્કમટેક્સ બ્રિજના પોપડા ખર્યા

અમદાવાદ શહેરના વિવિધ બ્રિજની તપાસમાં શહેરના ઈન્કમટેક્સ બ્રિજના પોપડા ખર્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બ્રિજની નીચે સળિયા બહાર આવી ગયા હતાં. તે છતાંય તંત્ર દ્વારા આર એન્ડ બી વિભાગની ગાઈડલાઈન પ્રમાણે કામ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાએ ઈન્કમટેક્સ બ્રિજના રીપેરિંગને લઈને પણ દાવો કર્યો છે. અહીં સવાલ એ થાય છે કે, દર વર્ષે કામ થતું હોય તો આ પ્રકારની બેદરકારી કેમ સામે આવે છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદના તંત્રએ બ્રિજ સરવે અને લોડ ટેસ્ટ માટેનો નિર્ણય કર્યો છે.

એલીસબ્રિજના પણ પોપડા ખર્યા

શહેરમાં નવા બનાવવામાં આવેલા એલીસબ્રિજના પણ પોપડા ખર્યા છે. બ્રિજ પર તિરાડો જોવા મળી છે. સ્પાનના જોઈન્ટ પર પણ બેદરકારી કરાઈ હોવાનું સામે આવ્યું છે. લોખંડ અને ઉખડી ગયેલુ પ્લાસ્ટર નજરે પડ્યું છે. આ ઉપરાંત લકડીયા બ્રિજનું પણ રીપેરિંગ કામ ચાલુ છે. સંદેશના રીયાલિટી ચેકમાં શહેરના કેટલાક બ્રિજમાં તંત્રની બેદરકારી સામે આવી હતી. શહેરનો સરદાર બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. જમાલપુર પાસેના સરદાર બ્રિજમાં પણ પોપડા ખરી પડ્યાં છે. બ્રિજની સાઈડની દિવાલોમાં પણ પોપડા ખરી પડ્યાં છે. નવો બ્રિજ વર્ષ 2000માં બનાવાયો હતો. જેમાં નવા બ્રિજની સ્થિતિ સારી છે જ્યારે જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે.

  • Follow us on: