અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના તબીબોએ સતત ૧૧ કલાક અંગો માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં કાર્યરત રહીને ૧૧ લોકોને નવજીવન આપ્યું છે. કહેવાય છે ને કે ,એક અને એક બે જ થાય પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો એ એક અને એક મળીને બે નહીં પરંતુ ૧૧ સાબિત કરી બતાવ્યું છે..!!
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના અથાક પ્રયાસ
સિવિલ હોસ્પિટલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતના અંતે બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન થકી ૧૧ લોકોને નવજીવન મળ્યું છે. સિવિલ માં થયેલ આ બે અંગદાનની વધુ વિગતો જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , તારીખ ૨૯ તેમજ ૩૦ ઓગષ્ટ ના ૧૧ કલાક ના સમયગાળા માં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે. જેમાં ૧૧ અંગોનું દાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ ને મળ્યુ છે.
Also Read
બોરસદના યુવકનું કરાયું અંગદાન
પ્રથમ કિસ્સામાં બોરસદ, આણંદ નજીક અંબેરાપુરા ખાતે રહેતા ૧૯ વર્ષના યુવાન વિપુલ વાઘેલાને પોતાના ઘરે થી કામ ઉપર જતા બાઇક ઉપર થી પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેમને પ્રથમ બોરસદ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ કરમસદ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા. પરંતુ સ્થિતિ ગંભીર બનતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં તારીખ ૨૫.૦૮.૨૦૨૫ ના રોજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે ૪ દિવસ ની સઘન સારવાર બાદ તારીખ ૨૯.૦૮.૨૦૨૫ ના રોજ સિવિલના ડોક્ટરોની ટીમને વિપુલભાઇ બ્રેઇન ડેડ હોવાનુ જણાતા સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમના ડો. જીનેન પંડ્યા દ્વારા વિપુલભાઇ ના માતા જનકબેન તેમજ હાજર પરીવારજનોને વિપુલભાઇની બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અંગદાન વિશેની સમજ આપી. જનકબેન તેમજ અન્ય પરીવારજનો એ વિપુલભાઇ ના અંગદાન થકી અન્ય પીડિત લોકોનો જીવ બચાવવા સંમતિ આપી હતી. વિપુલભાઇના અંગદાન થી બે કીડની, એક લીવર, હ્રદય તેમજ બે ફેફસા એમ કુલ ૬ અંગો નુ દાન મળ્યુ હતુ.
બીજા કિસ્સામાં થયેલું અંગદાન ગુપ્ત
પરપ્રાંતના રહેવાસી 39 વર્ષીય યુવાન મહીલા દર્દી સારવાર દરમ્યાન તારીખ ૩૦.૦૮.૨૦૨૫ ના રોજ બ્રેઇન ડેડ જણાતા સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ ના ડો. મોહીત ચંપાવત દ્વારા હાજર પરીવારજનો ને બ્રેઇન ડેડ પરીસ્થિતિ તેમજ અંગદાન વિશે સમજ આપી. પરીવારજનો એ બીજા કોઇ નો જીવ બચાવવા ગુપ્ત અંગદાન નો ઉમદા નિર્ણય કર્યો. સિવિલ માં થયેલા આ ૨૦૯ માં ગુપ્ત અંગદાન થી બે કીડની અને એક લીવર,હ્રદય તેમજ સ્વાદુપિંડ એમ કુલ પાંચ અંગો નુ દાન મળ્યુ હતુ.
બે ફેફસાને શહેરની કે ડી હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે
માત્ર ૧૧ કલાકના સમયમાં સિવિલ હોસ્પિટલ માં થયેલ આ બે અંગદાનથી મળેલ ૧૧ અંગોમાંથી ૪ કીડની અને ૨ લીવર તેમજ સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ આ બે અંગદાન થી મળેલ ૨ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની જ યુ.એન.મેહતા હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. વધુમાં અંગદાનથી મળેલ બે ફેફસાને શહેરની કે ડી હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડૉ. જોષી એ જણાવ્યુ હતુ.
અત્યારસુધી ૬૭૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૮૨- કિડની, ૧૮૪- લીવર, ૬૮- હ્રદય, ૩૪- ફેફસા , ૧૬- સ્વાદુપિંડ , બે નાના આંતરડા, ૨૨ સ્કીન અને ૧૪૨ આંખોનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૯૨અંગોનું દાન મળેલ છે. જેના થકી ૬૭૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. વધુ મા કુલ ૨૩ સ્કીન ડોનેશન પણ થયા છે.
જીવીત વ્યક્તિએ પોતાના અંગો અંગ ફેઇલ્યોરથી પીડાતા પોતાના સ્વજનને ન આપવા પડે તેમ ડૉ. જોષી એ વધુમાં ઉમેર્યુ હતુ
એક અંગદાનથી માત્ર અંગ ફેઇલ્યોર થવાથી પીડાતુ એક દર્દી જ સ્વસ્થ નથી થતુ પરંતુ તેની સાથે તેનો આખો પરીવાર અસહ્ય વેદના માંથી મુક્ત થઇ નવુ આનંદમય જીવન પામે છે અને તેથી જ અંગદાન એ મહાદાન છે અને આપણે સૌ એ અંગદાન ની શપથ લઇ અન્યો ને પણ આ વિશે સમજ આપવી જોઇએ જેથી ભવિષ્યમાં કોઇ પણ જીવીત વ્યક્તિએ પોતાના અંગો અંગ ફેઇલ્યોરથી પીડાતા પોતાના સ્વજનને ન આપવા પડે તેમ ડૉ. જોષી એ વધુમાં ઉમેર્યુ હતુ.













