સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. જયેશ સચદે એ વિગતો આપતા જણાવેલ કે તારીખ ૨૩/૦૮/૨૦૨૫ ના રોજ સિવિલ હોસ્પિટલના સ્કીનબેંકના હેલ્પલાઇન નંબર ઉપર અમદાવાદ ના ઘોડાસર વિસ્તાર શ્રધ્ધા બાળકો ની હોસ્પિટલના ડો. કિરણ દ્વારા શહેરના ઘોડાસરમાં રસીકપાર્ક સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષના પટેલ કીર્તીકુમાર અવસાન પામતા તેમની દીકરી સીમાબેનની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી.


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૩મું સ્કીન દાન થયું

સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ ૨૩મુ સ્કીન દાન છે તેમજ દાઝેલા દર્દીઓ ની સારવાર માં દાન માં મળેલ ચામડી ટ્રાન્સપ્લાન્ટ કરવાથી ખુબ જ સારા પરીણામો મળે છે,.ડો. જયેશ સચદે, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા. ઘરેથી મેળવેલ ૮ મુ સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતું, સિવિલમાં થયેલ ૨૦૭માં અંગદાનની વિગતો એવી છે કે, અમદાવાદ નારોલના વતની એવા દીનેશભાઇ સાકરીયાના અંગદાનથી ૨ કીડની અને ૧ લીવર નુ દાન મળ્યુ.

સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પત્ની નીરુબેન તેમજ બાળકોએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી

નારોલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપ ઉપર કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા એવા દીનેશભાઇ સાકરીયા ને ૨૦.૦૮.૨૦૨૫ ના રોજ માથુ દુખવા તેમજ ઉલ્ટી થવાની ફરીયાદ સાથે બેભાન થઇ જતા પ્રથમ એલ જી હોસ્પિટલ અને ત્યારબાદ જમાલપુર વિસ્તાર માં આવેલ છીપા હોસ્પિટલ માં બતાવ્યા બાદ વધુ સારવાર અર્થે તારીખ ૨૦.૦૮.૨૦૨૫ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં પરીવારજનો લઇ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તારીખ ૨૧.૦૮.૨૫ ના રોજ ડોક્ટરોએ દીનેશભાઇ સાકરીયાને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ ના ડૉ. મોહીત ચંપાવત દ્વારા દીનેશભાઇ સાકરીયા ના સ્વજનોને તેમની બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પત્ની નીરુબેન તેમજ બાળકોએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

સિવિલ હોસ્પિટલમાં આજદિન સુધીમાં કુલ ૨૦૭ અંગદાન થયા છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ ઉમેર્યુ હતુ કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૦૭ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૬૮૧ અંગોનું દાન મળ્યું છે, દીનેશભાઇ સાકરીયાના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૮૨ લીવર, ૩૭૮ કીડની, ૧૫ સ્વાદુપિંડ, ૬૬ હ્રદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા, ૧૪૨ ચક્ષુ તથા ૨૨ ચામડી નુ દાન મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં જ સિવિલ હોસ્પિટલ માં ઉજવાયેલા ૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ ના પર્વે રાજ્ય ના આરોગ્ય અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી એ પણ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ચાર વર્ષ થી ચાલતા અંગદાન ના કાર્ય અને ટીમની કાર્યપધ્ધતિ બીજી હોસ્પિટલો માટે એક આદર્શ મોડલ છે તેમ જણાવી દરેક હોસ્પિટલ અને વિભાગ આ પ્રમાણે પોતપોતાના કાર્ય માં કામગીરી અને ગુણવતા ના ધોરણો ઉંચા રાખી કામ કરવા તમામને જણાવેલ હતુ.

  • Follow us on: