ચકચારી બી.ઝેડ. (BZ) સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં બચાવપક્ષ અને સરકારી વકીલ દ્વારા આકરા પ્રહારો અને દલીલો કરવામાં આવી હતી. આરોપી ભૂપેન્દ્ર ઝાલા વતી કોર્ટમાં તેમના વકીલે જામીન આપવા માટે રજૂઆત કરી હતી. વકીલે જણાવ્યું હતું કે કોર્ટને અગાઉ આપેલી બાંહેધરી મુજબ ભૂપેન્દ્ર ઝાલાએ 5 કરોડ રૂપિયા જી.પી.આઈ.ડી. કોર્ટમાં જમા કરાવી દીધા છે.


ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપવા બચાવપક્ષના વકીલની રજૂઆત

વધુમાં રોકાણકારોને બાકીની રકમ પરત કરવા માટે ભૂપેન્દ્ર ઝાલાએ એક વિગતવાર બાંહેધરી આપી છે. રજૂઆત મુજબ ભૂપેન્દ્ર ઝાલા બાકીની રકમ 9 સરખા હપ્તાઓમાં જમા કરાવશે. જેની શરૂઆત પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ અને ત્રીજા મહિને 3 કરોડથી થશે. આમ કુલ 122 કરોડ રૂપિયા રોકાણકારોને પરત કરવામાં આવશે. જોકે સરકારી વકીલે ભૂપેન્દ્ર ઝાલાને જામીન ન આપવા માટે કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી.

ભુપેન્દ્ર ઝાલાને જામીન ન આપવા સરકારી વકીલની રજૂઆત

સરકારી વકીલે જણાવ્યું હતું કે ઝાલાએ હજારો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે અને આ ગુનો અત્યંત ગંભીર છે. આ ઉપરાંત સરકારે કોર્ટને માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર ઝાલાની 54 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આગામી દિવસોમાં કોર્ટનો ચુકાદો આવશે. જે આ કેસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.


  • Follow us on: