રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણને લઈને નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેષો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોના જાહેરનામાના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં શહેરના વિસ્તાર પ્રમાણે અવાજની માત્રા નક્કી કરવામાં આવી છે.


શહેરમાં વિસ્તાર પ્રમાણે અવાજની માત્રા નક્કી કરવામાં આવી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે શહેરમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના વિસ્તારોમાં અવાજની માત્રા નક્કી કરવામાં આવી છે. જેમાં ઓદ્યોગિક વિસ્તારમાં સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 75 ડિસેબલ, જ્યારે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં 70 ડિસેબલ, વાણિજ્ય વિસ્તારમાં સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 65 જ્યારે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં 55 ડિસેબલ, રહેણાંક વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 55 જ્યારે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં 45 ડિસેબલ, શાંત વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 50 અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી 40 ડિસેબલ અવાજની માત્રા નક્કી કરવામાં આવી છે.

આ જગ્યાઓ પર લાઉડ સ્પીકરો અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા કે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ ઉપરાંત શહેરના ઓડિટોરિયમ, પાર્ટી પ્લોટ અને કોન્ફરન્સ હોલ આગળ સાઈન બોર્ડ સંચાલકે પોતાના ખર્ચે ફરજિયાત લગાવવા પડશે. કોઈ પણ રેલી,સરઘસ, રાજકીય કે ધાર્મિક મેળાવડામાં માઈક સિસ્ટમ ભાડે નહીં આપી શકાય. માઈક સીસ્ટમ ભાડે આપવા માટે સંચાલકે પોલીસની પરવાનગી લેવી પડશે. કોઈપણ ધાર્મિક સ્થળ પર માઈકનો અવાજ મર્યાદિત રાખવો પડશે. આ નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.


  • Follow us on: