અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં આવેલા બારેજ નગરમાં દુકાનની ચાવી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય બોલાચાલી બાદ 6 થી 7 લોકોના ટોળાએ પણ ગલ્લાના માલિક પર હથિયારો સાથે હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક હુમલામાં દુકાન માલિક સહિત કુલ 4 લોકોને ઈજાઓ પહોંચી હતી.


પાનની દુકાન પર થઇ મારામારી

મળતી જાણકારી અનુસાર, બારેજ નગરમાં આવેલી એક પાનની દુકાનની ચાવી બાબતે દુકાન માલિક અને અન્ય વ્યક્તિઓ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડતાં સામેવાળા પક્ષના 6 થી 7 લોકોનું ટોળું લાકડીઓ, પાઈપ અને અન્ય હથિયારો સાથે ઘસી આવ્યું હતું. આ ટોળાએ દુકાન માલિક પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. અચાનક થયેલા આ હિંસક હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ હયો હતો. લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. હુમલામાં દુકાન માલિકને ગંભીર ઈજાઓ થઇ હતી જ્યારે તેમને બચાવવા વચ્ચે પડેલા અન્ય ત્રણ લોકોને પણ સામાન્યથી માધ્યમ ઈજાઓ પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

મારામારીમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલા પાછળનું સાચું કારણ અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: