અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર લાખોની જનમેદની ઉમટતી હોવાથી ભયજનક અને જર્જરિત ઈમારતો મોટી દુર્ઘટનાનું કારણ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત દરિયાપુર વિસ્તારમાં આવેલા ધારાસભ્ય કૌશિક જૈનના એક જૂના કાર્યાલય બહાર AMC દ્વારા ભયજનક હોવાની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
તંત્ર દ્વારા નોટિસ લગાવવાની કામગીરી
દરિયાપુરના મુખ્ય માર્ગ પર આવેલું આ કાર્યાલય લાંબા સમયથી બંધ અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના કે ઇમારત ધસી પડવાની દુર્ઘટના ન સર્જાય તે હેતુથી, તંત્ર દ્વારા સલામતીના આગોતરા ભાગરૂપે આ નોટિસ લગાવવામાં આવી છે.














