અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદા કે વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના કુબેરનગર વોર્ડમાંથી સામે આવ્યો છે. અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને રોડ પર જ આરસીસી (RCC) ધાબા ભરી દેવામાં આવ્યા છે. ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ તમામ હદો વટાવીને જાહેર રોડ અને સરકારી મિલકત પર કબ્જો જમાવી લીધો છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ જોવા મળી રહ્યો છે.


લાઈટના થાંભલાને જ બાંધકામની અંદર ચણી દેવાયો

આ ગેરકાયદેસર બાંધકામની સૌથી ગંભીર અને હાસ્યાસ્પદ બાબત એ છે કે, રસ્તા પર આવેલા વીજળીના (લાઈટના) થાંભલાને ખસેડવાને બદલે ભૂમાફિયાઓએ તેને આખેઆખો મકાનની અંદર જ ચણી દીધો છે! આ લાઈટનો થાંભલો હવે આરસીસી ધાબાની વચ્ચેથી પસાર થાય છે. આ પ્રકારનું જોખમી બાંધકામ ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ? આવા બેફામ બનેલા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવાવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.

કુંભકરણની નિંદ્રામાં AMCનું એસ્ટેટ વિભાગ

આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે. લાઈટના થાંભલા સુધી ગેરકાયદેસર બાંધકામ પહોંચી ગયું છતાં તંત્ર કેમ અજાણ છે? એસ્ટેટ વિભાગ જાણે કુંભકરણની નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગત અથવા સુષુપ્તતા વગર આવું મોટું ગેરકાયદેસર કામ શક્ય જ નથી. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ જોખમી બાંધકામ પર બુલડોઝર ફેરવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: