ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાંથી આગામી સમયમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમમાં સતત વધી રહેલી પાણીની આવકને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જળાશયમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 610.12 મીટર (610.43 ફૂટ) પર પહોંચી છે.


ધરોઇ ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ડેમ 90% થી વધુ ભરાઈ જતાં વધારાનું પાણી નદીમાં છોડવું જરૂરી બન્યું છે. આ પાણી છોડવા બાબતનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેનાથી સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સપાટીમાં વધારો થશે. આથી તંત્ર દ્વારા નદીકાંઠાના તમામ લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ

ખાસ કરીને નદીના પટમાં રહેતા લોકો, ખેડૂતો અને પશુપાલકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને નદી કિનારે કે કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે કારણ કે તેમના પાકને પૂરતું પાણી મળશે. પરંતુ સાથે જ જે વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતા છે ત્યાંના લોકોને સાવચેતી રાખવી અનિવાર્ય છે. આ પગલું કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી દુર્ઘટનાને ટાળવા માટે અત્યંત જરૂરી છે.


  • Follow us on: