પરંપરા અને ઇનોવેશનનું મિશ્રણ દર્શાવતી કહાની, ભોજરાજભાઈ દામજીભાઈ, ગઢશીશા, કચ્છના દિવ્યાંગ મશરૂ વણાટના કારીગરને, એક સમયે લુપ્ત થઈ રહેલી અને 400 વર્ષ જૂની ફૂલદાર ‘ભરસાઈ મશરૂ’ વણાટને પુનર્જીવિત કરવા બદલ પ્રતિષ્ઠિત નેશનલ હેડલૂમ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર 11મા નેશનલ હેડલૂમ દિવસ એટલે કે 7 ઓગસ્ટ 2025ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ; કાપડ રાજ્ય મંત્રી, ભારત સરકાર, પવિત્રા માર્ગેરીતા અને કાપડ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા લોકસભા સભ્ય કંગના રનૌતની હાજરીમાં આપવામાં આવ્યો હતો.


ભોજરાજભાઈએ આ કળાને સમાપ્ત થવાથી બચાવવાના પ્રયાસ કર્યા 

ભોજરાજભાઈએ મશરૂ વણાટની કળા તેમના પિતા દામજીભાઈ પાસેથી શીખી હતી. જેમણે કચ્છમાં ખાદી ઉત્પાદનમાં આ કળાનો સમાવેશ કર્યો હતો. બાળપણમાં પોલિયોથી પીડિત અને પછીથી તેમના નાના ભાઈ(જે દિવ્યાંગ છે)ની સંભાળ રાખવાની જવાબદારી સંભાળનારા ભોજરાજભાઈનું જીવન જેટલું હિંમતથી ભરેલું છે તેટલું જ તે લૂમના લયબદ્ધ અવાજથી પણ ભરેલું છે. 1990ના દાયકામાં પાવરલૂમના મોટા પાયે ઉત્પાદનના કારણે જયારે મશરૂ વણાટ લુપ્ત થવાના આરે હતું ત્યારે ભોજરાજભાઈએ આ કળાને સમાપ્ત થવાથી બચાવવાના પ્રયાસ કર્યા હતા. કોર્પોરેટ સમર્થનના અભાવ છતાં તેમણે સ્વતંત્ર રીતે નવા બજારો શોધ્યા. ગામના યુવાનો અને મહિલાઓને તાલીમ આપી. તેમને રોજગાર અને આવશ્યક સાધનો ઉપલબ્ધ કરાવ્યા અને પોતાના ઘરને વર્કશોપ તેમજ કળાની વારસા સંરક્ષણ શાળામાં ફેરવી દીધું. કેન્સર સામેની લડત પણ તેમને લૂમથી દૂર રાખી શકી નહીં.

મશરૂના પુનરુત્થાનને આગળ ધપાવ્યું

2023માં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદએ HSBC દ્વારા સમર્થિત તેના મુખ્ય પ્રોજેક્ટ 'હેન્ડમેડ ઇન ઇન્ડિયા' હેઠળ મશરૂના પુનરુત્થાનને આગળ ધપાવ્યું હતું. ભોજરાજભાઈની લાભાર્થી તરીકે નોંધણી કરવામાં આવી અને તેમણે અદ્યતન ડિઝાઇન વિકાસની તાલીમ, યાર્નના નવીન વિકલ્પો અને નવા ડિઝાઇન લેઆઉટ સુધીની પહોંચ ઉપલબ્ધ કરાવવામાં આવી. મે 2025માં ભરસાઈ મશરૂ ડિઝાઇનને પુનર્જીવિત કરવામાં તેમના ઉદ્યમી કાર્યને માન્યતા સ્વરૂપ, ભોજરાજભાઈએ રાષ્ટ્રીય હેન્ડલૂમ પુરસ્કાર માટે અરજી કરવામાં મદદ માટે EDIIનો સંપર્ક કર્યો. EDIIની પ્રોજેક્ટ ટીમે તેમની સાથે મળીને સેમ્પલ પ્રોડક્ટ વિકસિત કરવા અને અરજી બનાવવા માટે કામ કર્યું.

દરેક મશરૂ વણકર માટે ગૌરવનો ક્ષણ

ભોજરાજભાઈએ કહ્યું “આ પુરસ્કાર જીતવું એ ફક્ત મારા માટે જ નહીં પરંતુ આ પરંપરાને જીવંત રાખવા માટે અવિરત મહેનત કરનારા દરેક મશરૂ વણકર માટે ગૌરવનો ક્ષણ છે. EDIIના સમર્થનથી હું મારા હૃદયને અતિ પ્રિય એવી કળાને પુનર્જીવિત કરી શક્યો અને અમારી કારીગરીને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડી શક્યો.” ભોજરાજભાઈ જેવા વારસાના રક્ષક અને પરંપરાને તક સાથે જોડતી EDII જેવી સંસ્થાઓ સાથે ભારતના કાપડ ક્ષેત્રના તાંતણા ફક્ત સંરક્ષિત જ નથી રહેતા; તેઓ રાષ્ટ્રના ભવિષ્યમાં વણાઈ જાય છે.


  • Follow us on: