અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યલો ફીવરની રસી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવનમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરમાં આ રસી માટે પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી રસી મેળવી શકે. આ પગલાં સાથે શહેરમાં રસીકરણની સુવિધા વિસ્તૃત થશે અને તંત્ર વધુ મજબૂત બનશે.
9,900 લોકોને આ રસી આપવામાં આવી
AMCના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી મુખ્યત્વે એ લોકોને આપવામાં આવે છે જે આફ્રિકાની મુસાફરી કરવા જઈ રહ્યા હોય, કારણ કે યલો ફીવરની અસર મુખ્યત્વે આ ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન લગભગ 9,900 લોકોને આ રસી આપવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યલો ફીવરના સંક્રમણ સામે રક્ષણ પૂરું પાડવો છે. આ રસી ખાસ કરીને મુસાફરો માટે જરૂરી માનવામાં આવે છે અને તેઓએ યલો ફીવરની મહત્ત્વપૂર્ણ સુરક્ષા માટે તે લેવા જરૂરી છે.













