ગુજરાત હાઈકોર્ટે એક 25 વર્ષ જૂના અને અત્યંત ગંભીર એવા આતંકવાદ સાથે જોડાયેલા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને કેસના ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટના 1998ની છે. તત્કાલીન પી.આઈ. તરુણ બારોટને મળેલી બાતમીના આધારે પોલીસે સાયરા બાનુ શેખના ઘરે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં 6 લોકોના મોત થયા હતા.


1999માં કરાયેલી અરજીનો 25 વર્ષે ચુકાદો

જ્યારે પોલીસે રેડ પાડી હતી ત્યારે પોલીસને સ્થળ પરથી મોટી માત્રામાં આરડીએક્સનો જથ્થો તેમજ ગ્રેનેડ અને AK-56 જેવા ઘાતક હથિયારોનો પણ જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી દરમિયાન નાસિર શેખ, અહમદ સૈયદ, જાવેદ પઠાણ અને રજનીકાંત પરમાર નામના 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ ચારેય આરોપીઓએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

1998માં પોલીસે સાયરા બાનુ શેખને ત્યાં પાડી હતી રેડ 

જોકે ગ્રામ્ય કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ રાજ્ય સરકારે 1999માં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલ પર 25 વર્ષની સુનાવણી બાદ આજે હાઈકોર્ટે રાજ્ય સરકારની અપીલને માન્ય રાખી છે. હાઈકોર્ટે ગ્રામ્ય સેશન્સ કોર્ટનો ચુકાદો રદ કરીને આરોપીઓ સામે ફરીથી કેસ ચલાવવા અને ચાર્જફ્રેમ કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી આ કેસમાં ન્યાયની આશા ફરી જાગી છે.

  • Follow us on: