કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગુજરાતમાં ઉપસ્થિત રહેશે અને આ દરમિયાન ગાંધીનગર તેમજ અમદાવાદમાં કુલ ચાર અલગ-અલગ સ્થળોએ મહત્વના સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે.
ગાંધીનગર મહાત્મા મંદિરથી ‘સહકાર ટેક્સી સેવા’નો ડિજિટલ પ્રારંભ
ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસની શરૂઆત સહકારિતા ક્ષેત્રના એક મોટા પ્રોજેક્ટથી થશે. શનિવારે સવારે 11:00 વાગ્યે ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર ખાતેથી તેઓ સમગ્ર ગુજરાત માટે ‘સહકાર ટેક્સી સેવા’નો વિધિવત શુભારંભ કરાવશે. આ નવી સેવા સહકારી માળખાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
સર્કિટ હાઉસ ખાતે DISHA સમિતિની હાઈલેવલ બેઠક
સહકાર ટેક્સી સેવાના પ્રારંભ બાદ બપોરે 1:00 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. અહીં તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની એક મહત્વની સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિ અંગેના વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદ સર્કિટ હાઉસમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાન
ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ તરફ રવાના થશે. બપોર પછી સાંજે 4:45 કલાકે તેઓ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક વિશેષ સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે તેઓ અહીં વૃક્ષારોપણ કરશે.
રાણીપ ખાતે લોક દરબાર: જનતાના પ્રશ્નો સાંભળશે ગૃહમંત્રી
અમિત શાહ પોતાના પ્રવાસના અંતે જનતાની વચ્ચે જશે. સાંજે 6:30 કલાકે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક ભવ્ય 'લોક દરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી ખાસ હાજરી આપશે. પોતાના મતવિસ્તારના લોકો અને સામાન્ય નાગરિકોને મળીને તેઓ સીધો સંવાદ કરશે, અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપશે. ગૃહમંત્રીના આ પ્રવાસને પગલે ગાંધીનગર અને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - National News : નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર પ્રહાર, ગૃહપ્રધાન અમિત શાહ નક્કી કરશે 'ડેડલાઈન'