અમદાવાદના વાસણા વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીની હત્યા નિપજાવી છે. ચામુંડાનગરમાં રહેતી 40 વર્ષીય મહિલાની તેના પતિએ ઝઘડો કરી પંખાના વાયરથી ગળુ દબાવીને હત્યા નિપજાવી છે. પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હતી, જેથી બંને વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. જેમાં પતિએ પત્નીની હત્યા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.


હત્યા કર્યા બાદ નરેશ પોતાનું ઘર છોડી નારોલ પહોંચ્યો હતો

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ ચામુંડા નગરમાં ગત 15 જુલાઈના રોજ મીના નામની મહિલાની તેના પતિએ જ હત્યા નિપજાવી ફરાર થયો હતો. મહત્વનું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી નરેશ તેની પત્ની મીના સાથે ચારિત્ર્ય બાબતે શંકાઓ રાખીને બોલાચાલી કરતો હતો. તેવામાં મંગળવારે સવારે નરેશે ઝઘડો કરીને પંખાના ઈલેક્ટ્રીક વાયરથી મીનાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ નરેશ પોતાનું ઘર છોડી નારોલ પહોંચ્યો હતો. જ્યાંથી તેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી. એ જ સમયે પરિવારના સભ્યોને પણ ઘરમાં મીનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા આરોપી નરેશ ફરાર હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પત્નીની હત્યાને અંજામ આપી પતિ પોતાના વતન અમરેલી તરફ ભાગી ગયો

હત્યાના ગુનામાં આરોપી નરેશ ખિમોરિયાની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે પત્નીની હત્યાને અંજામ આપી તે પોતાના વતન અમરેલી તરફ ભાગી ગયો હતો. મહત્વનું છે કે નરેશને શંકા હતી કે તેની પત્ની મીના સોશિયલ મીડિયાના સ્ટેટસમાં પોતાના ફોટા મૂકી અન્ય યુવક સાથે સંબંધ રાખી રહી છે. જે વાતની શંકાના આધારે નરેશે પોતાની પત્નીને વહેલી સવારે મકાનના પહેલા માળે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ બંને વચ્ચે તકરાર થતાં નરેશે પત્ની મીનાનું ગળું દબાવી હત્યા નીપજાવી ફરાર થયો હતો. જેની પોલીસે ધરપકડ કરી હત્યાના ગુનામાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી કે આરોપી નરેશ કોઈ કામ ધંધો કરતો નથી, ઉપરાંત મૃતક મીનાબેન પાડોશીઓના ઘરના ઘરકામ કરી ત્રણ સંતાનની દેખરેખ કરતા હતા. સાથે જ બનાવના બે દિવસ પહેલા બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પરંતુ પત્નીએ પતિની ધરપકડ કરવાની ના કહેતા પોલીસે બંનેને મુક્ત કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

  • Follow us on: