અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કથિત બેવડી નીતિના કારણે શહેરના પ્રખ્યાત લો ગાર્ડન વિસ્તારના ફેરિયાઓમાં મોટો વિવાદ ઊભો થયો છે. ફેરિયાઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, મનપાના નવા કમિશનર આ વિસ્તારમાં રહેવા આવ્યા હોવાથી અચાનક તેમને ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી એટલી ઝડપથી કરવામાં આવી કે ફેરિયાઓને તેમનો સામાન ખસેડવાનો સમય પણ ન મળ્યો. ફેરિયાઓએ જણાવ્યું હતું કે, "અચાનક કોલ આવ્યો અને મનપાની ટીમે આવીને અમારો બધો માલ-સામાન અને વાહનો લઈ ગયા." આ કાર્યવાહીથી ફેરિયાઓની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે.
લાઇસન્સ છતાં દબાણ હટાવવાનો આક્ષેપ
ફેરિયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, તેમની પાસે મનપા દ્વારા આપવામાં આવેલા લાઇસન્સ હોવા છતાં તેમને હટાવવામાં આવ્યા છે. લાઇસન્સ હોવા છતાં કાર્યવાહી થતા ફેરિયાઓ મનપાની નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વધુમાં, જપ્ત કરાયેલા વાહનો અને માલ-સામાન પાછો લેવા માટે જ્યારે તેઓ મનપાની ઓફિસે જાય છે, ત્યારે તેમને ધક્કા ખવડાવવામાં આવે છે અને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ પ્રકારનું વલણ દર્શાવે છે કે, વહીવટી તંત્ર સત્તાવાર નિયમો કરતાં વ્યક્તિગત સગવડને વધુ મહત્ત્વ આપી રહ્યું છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ માટે અન્યાયી છે.













