અમદાવાદ શહેરના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી રોડ ન બનવાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ અધિકારીઓ તેમજ પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા જન પ્રતિનિધિઓ પણ હવે તો જનતાનું સાંભળતા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની વાહ વાહ મેળવવા માટે રોડ બનાવવાનું કામ મોટા ઉપાડે ચાલુ તો કરવામાં આવ્યું, પરંતુ રોડ ખોદી નાખ્યા બાદ હવે અહીંયા કામ ખોરંભે ચડી ગયું છે.
સમસ્યાનું કોઈ નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ
એક બાજુ દિવાળીનો તહેવાર છે તો બીજી બાજુ ન્યુ વસ્ત્રાલ વિસ્તારમાં ખોદેલા રોડના કારણે માટી ઉડતી હોય છે અને તેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે તો સ્થાનિક વેપારીઓને પણ માસ્ક પહેરીને વસ્તુઓનું વેચાણ કરવા માટે બેસવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિસ્તારના ઓમ સર્કલથી સ્મશાન સુધીના રસ્તામાં રાત્રે એટલી ધૂળ અને માટી ઉડે છે કે લોકો શ્વાસ લઈ શકતા નથી અને રોડ તો પહેલાથી જ નથી એટલે ટ્રાફિક વધારે થઈ જાય છે. ત્યારે આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.













