અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. ખોટા પરિણામોના આધારે ફિક્સ પે ભરતી થયેલા આઠ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓએ વર્ષ 2023-2024 દરમિયાન ખોટા દસ્તાવેજો રજૂ કરીને નોકરી મેળવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી પુલકિત સાથેની તેમની સંડોવણી બહાર આવતાં આ કડક પગલાં લેવામાં આવ્યા છે.


ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ

ખોટા પરિણામો બનાવનાર મુખ્ય આરોપી પુલકિતની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસમાં બહાર આવ્યું કે, બરતરફ થયેલા આઠ કર્મચારીઓના પરિણામો ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથે મળીને ગેરકાયદેસર રીતે નોકરી મેળવી હતી. આ ઘટનાથી AMC ની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને તંત્રની છબીને મોટું નુકસાન થયું છે.

ખોટી રીતે ભરતી થયાનું સામે આવતા નિમણૂંક રદ્દ

આ કૌભાંડ સામે આવ્યા બાદ મનપા દ્વારા તાત્કાલિક ધોરણે નિમણૂકો રદ્દ કરવામાં આવી હતી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, સરકારી નોકરીઓ મેળવવા માટે ખોટા માર્ગો અપનાવવાનું ચલણ વધુ રહ્યું છે. તંત્રએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ભરતી પ્રક્રિયાને વધુ સઘન અને પારદર્શી બનાવવાની જરૂર છે. આ ઘટના અન્ય સરકારી વિભાગો માટે પણ એક ચેતવણીરૂપ છે.


  • Follow us on: