PM નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થવાનો હોવાથી સરકાર અને સંગઠન બંને સ્તરે તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ મેદાન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિ રહે તેવી અપેક્ષા છે. આ માટે હજારો લોકો બેસી શકે તેવો એક ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી લોકો આરામથી બેસીને PM નું સંબોધન સાંભળી શકે.


નિકોલ ખાતે વિશેષ સ્ટેજ ઊભું કરવામાં આવશે

PM મોદીના સ્વાગત માટે નિકોલ ખાતે વિશેષ સ્ટેજ પણ ઊભું કરવામાં આવશે. આ સ્ટેજ પરથી તેઓ જનતાનું અભિવાદન ઝીલશે. આ ઉપરાંત, PM ના રોડ શોના રૂટ પર પણ અનોખી અને સુંદર સજાવટ કરવામાં આવી રહી છે. સમગ્ર રોડ શો રૂટ પર રોશનીથી ઝળહળતો માહોલ જોવા મળશે, જે પ્રવાસને વધુ આકર્ષક બનાવશે. આ રૂટ પર વિવિધ થીમ આધારિત સ્કલ્પચર પણ મૂકવામાં આવશે, જે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને વિકાસની ગાથાને રજૂ કરશે. આ તમામ વ્યવસ્થા PMના સ્વાગતને ભવ્ય અને યાદગાર બનાવવા માટે કરવામાં આવી રહી છે.

PM ના આગમનાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ

PM ના આગમનને લઈને અમદાવાદના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસ દરમિયાન તેઓ અનેક સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જેનાથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે. સુરક્ષા વ્યવસ્થાને પણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. PMના આ પ્રવાસથી ગુજરાતના વિકાસ પર્વમાં વધુ એક સોનેરી પ્રકરણ ઉમેરાશે.


  • Follow us on: