અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામતાની સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેના કરને શહેરીજનોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારોમાં રોગચાળો વધુ ફેલાયો છે.
રોગચાળાના આંકડા ચિંતાજનક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના મેડીકલ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
મચ્છરજન્ય રોગો
- સાદા મેલેરિયા: 135 કેસ
- ઝેરી મેલેરિયા: 23 કેસ
- ડેન્ગ્યુ: 144 કેસ
- ચિકનગુનિયા: 4 કેસ
પાણીજન્ય રોગો
- ઝાડા-ઉલટી: 789 કેસ
- કમળો: 494 કેસ
- ટાઈફોઈડ: 615 કેસ
- કોલેરા: 27 કેસ
ખાસ કરીને, કોલેરાના કેસો વટવા (4), મક્તમપુરા (3), રામોલ-હાથીજણ (3), અસારવા (2) અને ઈસનપુર (2)માં વધુ જોવા મળ્યા છે.
નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર
રોગચાળાને કાબૂમાં લેવા માટે AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગિંગ, દવા છંટકાવ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ સાથે જ નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. ઘરમાં પાણીનો ભરાવો ન થવા દેવો, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ગંદા પાણીથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. જો આવા રોગોના કોઈ પણ લક્ષણ જણાય તો તુરંત ડોક્ટરોનો સંપર્ક કરવો હિતાવહ છે