અમદાવાદમાં રક્ષાબંધન તહેવારની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. તહેવારને લઈને બજારમાં પણ ભારે ભીડ જોવા મળે છે. જ્યારે બીજા શહેરથી આવનારા લોકો વતનની વાટ પકડી રહ્યા છે. તહેવારમાં વતન જવા લોકો વાહનોમાં જીવન જોખમે મુસાફરી કરી રહ્યા છે. તહેવાર ટાણે જ ટ્રાફિક નિયમના ધજાગરા ઉડયા.


વતનની લહાયમાં જોખમી મુસાફરી

શહેરમાં તહેવારની તૈયારીઓની વચ્ચે ટ્રાફિક નિયમો નેવે મૂકાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. આ દ્રશ્યોમાં દેખાય છે તેમ કેટલાક લોકો ખાનગી બસની ઉપર બેસી મુસાફરી કરી રહ્યા છે. જો ઉપર આટલા બધા લોકો બેઠા છે તો પછી અંદર કેવો નજારો હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. આ દ્રશ્યો જોઈ થાય કે આખરે કેમ લોકો આટલું બધુ જોખમ ખેડે છે. લોકો ગમેતેમ કરીને વતન જવાની લહાયમાં ખાનગી બસમાં જીવના જોખમેં સવારી કરી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે આ બસ જ્યાંથી પસાર થઈ હશે ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ નહીં હોય. કેમ ટ્રાફિક પોલીસ આવી જોખમી સવારી લઈ જનાર ખાનગી બસોને રોકતી નથી. ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા લાગ્યા છે.

ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન

આવતીકાલે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. અને બીજા દિવસે રવિવારની રજા છે. આમ, બે દિવસની ઉજવણીનો માહોલ બનતા પરપ્રાંતીય લોકો વતન જવા નીકળી પડયા છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે. આ ઉપરાંત પાલડી અને નહેરુ નગર વિસ્તારમાંથી ઉપડતી ખાનગી બસોમાં લોકો ઉમટી પડયા. બસ ઉપર જીવના જોખમે સવારી કરતા મુસાફરોને આખરે અકસ્માત કે દુર્ઘટનાનો કોઈ ડર કેમ નથી. HCની ટકોર બાદ પણ ટ્રાફિક નિયમોનું કડકપણ પાલન થતું નથી. આ દ્રશ્યો બતાવે છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી. નથી મુસાફરોને કોઈ ડર અને નથી વાહનચાલકોને કોઈ ડર, અને નથી થઈ રહ્યું ટ્રાફિક નિયમનું પાલન. કંઈ થશે તો જોયું જાશે...તેવો તમામનો અભિગમ.

  • Follow us on: