અમદાવાદના વિરમગામ પંથકમાં રસ્તાઓ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. રવિવારે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક મહિલાને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાઓએ ફરી એકવાર વાહનચાલકોની સલામતી પર સવાલો ઊભા કર્યા છે. પ્રથમ ઘટના શાહપુર પાસે બની હતી, જ્યાં એક ST બસની અડફેટે એક બાઇકચાલકનું કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નળસરોવર રોડ પર ભેંસ આડી આવતા અકસ્માત
બીજો ગમખ્વાર અકસ્માત વિરમગામ-નળસરોવર રોડ પર થયો હતો. આ દુર્ઘટનામાં એક બાઇકચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બાઇકચાલક રસ્તા પર અચાનક આડી આવેલી ભેંસ સાથે અથડાયો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલી એક મહિલાને પણ ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.













