મિલકતમાં ભાગ લેવાની લાલચ એક વ્યક્તિને ભારે પડી છે. મિલકતમાં ભાગ લેવા માટે માતાના મરણ સર્ટિફિકેટની જરૂર પડતા કોર્ટનો બનાવટી હુકમ અને સ્મશાનની પાવતી બનાવી બનાવટી મરણ સર્ટિફિકેટ મેળવ્યું હતું.જોકે કોર્પોરેશનની વિજિલન્સની ટીમે આરોપીની કરતુતોનો પર્દાફાશ કર્યો અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નાનાની મિલકતમાં ભાગ પડાવવા રચ્યું કાવતરૂ
પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપી હરે કૃષ્ણ પરમારની ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ તેના નાનાની કરોડો રૂપિયાની મિલકતમાં ભાગ લેવા માટે મૃતક માતાનું બનાવટી સર્ટિફિકેટ બનાવ્યું છે. બીજી તરફ કેટલાક લોકો બનાવટી દસ્તાવેજોના આધારે જન્મ અને મરણના પ્રમાણપત્રો બનાવતા હોવાનું સામે આવતા કોર્પોરેશને વિજિલન્સ ટીમ બનાવી ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. જેમાં હરેકૃષ્ણ પરમારની કરતુતો સામે આવી હતી. આરોપીની માતાના બે મરણ સર્ટિફિકેટ ઈશ્યુ થયા હોવાનું જાણવા મળતા કોર્પોરેશનની ટીમે ખરાઈ કરી હતી. જેમાં આરોપીએ બનાવટી દસ્તાવેજોના આધારે સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપીની માતાનું 1988માં મોત થયું હતું
આરોપીની માતાનું વર્ષ 1988માં મૃત્યુ થયું હતું. જે તે સમયે નંદાબેન મંગળદાસ પરમારના નામે વીએસ હોસ્પિટલ ખાતે મરણ સર્ટીની નોંધણી થઈ હતી. જોકે વર્ષ 2024માં આરોપીને મિલકતમાં ભાગ મેળવવાની પ્રક્રિયામાં તેની માતાના મરણ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાથી તેણે અન્ય એક વ્યક્તિની મદદ લઈને તેની પાસે બનાવટી દસ્તાવેજો ઉભા કરી બનાવટી મરણ સર્ટિફિકેટ મેળવ્યું હતું. જે સર્ટિફિકેટ ગંગાબેન મંગળદાસ પરમારના નામે ઈસ્યુ કરવામાં આવ્યું હતું. જોકે તેમનું મૃત્યુ વર્ષ 1988માં થયું હતું, પરંતુ બનાવટી સર્ટિફિકેટમાં તેમનું મૃત્યુ વર્ષ 2012માં થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
અન્ય કોઇ બોગસ સર્ટિફિકેટ બનાવ્યા છે કે નહી તે અંગે તપાસ
કોર્પોરેશનની વિજિલન્સ ટીમના ઓડિટ દરમિયાન મૃત્યુના વર્ષ સિવાયની તમામ વિગતો મળતી આવતી હતી. એટલે કોર્પોરેશનના અધિકારીઓને એક જ વ્યક્તિના નામે બે સર્ટિફિકેટ ઈસ્યૂ થયા હોવાની શંકા ગઈ હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી અને તેણે બનાવટી દસ્તાવેજો કેટલા રૂપિયામાં બનાવ્યા અને અન્ય કોઈ જગ્યાએ તેનો ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપીને દસ્તાવેજો બનાવી આપનાર શખ્સની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.