બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ. અંબાજી ગ્રામ પંચાયત અને 51 શક્તિપીઠ સર્કલ વચ્ચે મુખ્ય બજારમાં એક યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાએ અંબાજી આવતા ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાવ્યો હતો. આજે બળેવના તહેવારને લઈને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.


કેટલાક લુખ્ખા તત્વોએ અંબાજીના યુવકને જાહેરમાં  માર્યો માર 

આ સમયે કેટલાક લુખ્ખા તત્વોએ એક યુવકને જાહેરમાં માર મારવાનું શરૂ કરી દીધુ હતું. આ ઘટના દર્શાવે છે કે આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. જેના કારણે તેઓ જાહેરમાં આવા કૃત્યો આચરી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. અંબાજીની સાથે સાથે દાંતાના બજારમાં પણ આવા લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો. એક તરફ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી હતી. જે આદિવાસી સમાજના ગૌરવનું પ્રતીક છે.

પોલીસ હોવા છતા લુખ્ખા તત્વો બેફામ બન્યા

જ્યારે બીજી તરફ આદિવાસી સમાજના લોકો આવા લુખ્ખા તત્વોના ત્રાસનો ભોગ બની રહ્યા છે. હવે ભાદરવી મહામેળાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી આવતા હોય છે. આવા સમયે અસામાજિક તત્વોનો આતંક ભક્તોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.


  • Follow us on: