બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. રોડ રસ્તા અને ખેતરોમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે બીજી તરફ અંબાજી જવાના માર્ગ પર પહાડ ધસી પડવાની ઘટના સામે આવી છે. અંબાજીથી હડાદ માર્ગ પર પહાડ ધસી પડ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક પહાડના પથ્થરો અને માટીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામા મોટી જાનહાની ટળી છે.


આ હાઈવે પર રોજની હજારો ગાડીઓ પસાર થાય છે

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાદરવી પૂનમના મેળા પહેલા જ અંબાજી માર્ગ પર એક દુર્ઘટના સર્જાઈ છે. અંબાજીથી હડાદ જવાના માર્ગ પર પહાડ ધસી પડવાની ઘટના સામે આવી છે. પાંચથી છ જગ્યાઓ પર પહાડ પરથી ભેખડો રોડ પર ધસી આવી હતી. હાઈવે પર વાહનોની ભારે અવરજવર વચ્ચે પહાડ પરથી પથ્થરો પડતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. હાઈવે પર પહાડો પરથી પડેલા પથ્થરો અને શીલાઓથી વાહન ચાલકોને હાલાકી પહોંચી હતી. આ હાઈવે પર રોજની હજારો ગાડીઓ પસાર થાય છે.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવાનો છે

આગામી દિવસોમાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવાનો છે. આ મેળામાં લાખોની સંખ્યામા ભક્તો અંબાજી પહોંચવાના છે. ત્યારે ભક્તોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં રસ્તા પરથી પહાડનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ અંબાજીમાં આંબાઘાટ પર ભેખડ ધસી પડવાની ઘટનાઓ સામે આવી હતી. હાલમાં જાહેર માર્ગ પર જગ્યા જગ્યા ઉપર પથ્થરો ભેખડો જોવા મળી છે.

  • Follow us on: