અમરેલીના બગસરાના લુઘયા ગામના ખેડૂતોએ 2024ના જમીન સર્વેમાં મોટી ભૂલ થઈ હોવાનો આક્ષેપ કરીને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ સર્વેમાં થયેલી ભૂલોને કારણે તેમને વિવિધ સરકારી દાખલાઓ કઢાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


લુઘયા ગામના ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદન

ખેડૂતો દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નવા સર્વે નંબર અને જમીનના માપમાં ગંભીર ભૂલો રહી ગઈ છે. આ ભૂલોને કારણે સરકારી કચેરીઓમાં તેમના જમીન સંબંધિત કામો અટકી ગયા છે અને તેમને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. પરિણામે ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે પરેશાની થઈ રહી છે. ખેડૂતોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી કે જ્યાં સુધી આ ભૂલો સુધરશે નહીં ત્યાં સુધી તેમને બેંક લોન, પાક વીમા અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડશે.

દાખલા કઢાવવામાં મુશ્કેલી થતી હોવાનો આરોપ

આ આવેદનપત્રનો મુખ્ય હેતુ એ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ મામલે ધ્યાન આપીને ભૂલો સુધારવામાં આવે અને ખેડૂતોને તેમના જરૂરી દાખલાઓ સરળતાથી મળી રહે. તેમજ આ મામલે મામલતદારે ખેડૂતોને પણ ખાતરી આપી છે કે તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવશે અને સંબંધિત વિભાગને આ ભૂલોને સુધારવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવશે. આશા છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે, જેથી ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવે.


  • Follow us on: