અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક સીમ વિસ્તારમાં ત્રણ સિંહબાળના શંકાસ્પદ મોતથી વન્યજીવ પ્રેમીઓમાં અને વન વિભાગમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના બાદ વનમંત્રી અને શેત્રુંજી ડિવિઝનના DCF (નાયબ વન સંરક્ષક) ના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જેના કારણે મૃત્યુના સાચા કારણ અંગે રહસ્ય ઘેરું બન્યું છે.
મુળુ બેરાએ આપ્યું નિવેદન
મળતી જાણકારી અનુસાર, કાગવદર સીમ વિસ્તારમાંથી સિંહબાળ બીમાર હાલતમાં મળી આવ્યા હતા, જેમાં કેટલાકની હાલત અત્યંત નાજુક હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કુલ 9 સિંહબાળ અને એક સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા હતા. જોકે, આ દરમિયાન ત્રણ સિંહબાળના મોત થયાના અહેવાલ છે. જેમાંથી બે સિંહબાળના મોતની પુષ્ટિ વન વિભાગે કરી છે. વનમંત્રી મુળુ બેરાએ આ અંગે જણાવ્યું હતું કે, "સિંહબાળને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના રોગ અંગે તપાસ કરવામાં આવી રહી છે." તેમના નિવેદનથી સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે.
શેત્રુંજી ડિવિઝનના DCF ધનંજયકુમાર સાધુએ આપ્યું નિવેદન
જોકે, શેત્રુંજી ડિવિઝનના DCF ધનંજયકુમાર સાધુએ વનમંત્રીના નિવેદનથી વિપરીત વાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "કોઈ રોગ નથી અને સિંહબાળને આઇસોલેશનમાં પણ રાખવામાં આવ્યા નથી." DCF સાધુએ ઉમેર્યું કે, "આ એક રૂટિન પ્રક્રિયા છે અને કોઈ મોટી મહામારી નથી". જ્યારે સિંહબાળ સારવાર લઇ રહ્યા છે કે નહીં તે અંગે વાત કરવાનું તેમણે ટાળ્યું હતું.