ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે અમરેલી શહેરમાં રોમિયો સ્ક્વોડ ફરી શરૂ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. આ માંગણી ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેઓ લુખ્ખા તત્વો અને રોમિયોગીરીથી પરેશાન છે.


હજારો વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો સવાલ

બાવકુ ઉંધાડે આ પત્ર અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલા પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને પગલે લખ્યો છે. આ સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, અને તેમને અવારનવાર આવા લુખ્ખા તત્વોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની છેડતી અને રોમિયોગીરીને કારણે વિદ્યાર્થીનીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. પત્રમાં જણાવાયું છે કે ભૂતકાળમાં એસપી શોભા ભૂતડાના કાર્યકાળ દરમિયાન રોમિયો સ્ક્વોડ ખૂબ જ અસરકારક રીતે કાર્યરત હતી, જેના કારણે આવા તત્વો પર લગામ કસાઈ હતી.

ગૃહમંત્રી સિવાય અમરેલી SP ને લખ્યો પત્ર

હવે ફરીથી તે જ પ્રકારની સ્ક્વોડને સક્રિય કરીને આવા બનાવોને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. બાવકુ ઉંધાડે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત અમરેલીના એસપીને પણ આ મામલે પત્ર લખીને રોમિયોગીરી ડામવા માટે સઘન પ્રયાસો કરવા વિનંતી કરી છે. આ પત્રથી હવે અમરેલીમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.


  • Follow us on: