ભરૂચના અંકલેશ્વર GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ છે. આજે સવારે આ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયા બાદ મોડી રાત્રે ફરીથી આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આગ લાગવાનું મુખ્ય કારણ કંપનીની ટેન્કમાં બાકી રહી ગયેલા કેમિકલ મટિરિયલમાં ફરી આગ ભભૂકી ઉઠ્યું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
પાનોલી GIDCમાં ફરી લાગી ભીષણ આગ
આગની તીવ્રતા એટલી હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં ફાયર ટેન્ડરોની મદદથી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પણ આ ઘટના અંગે ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે અને સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીના સત્તાધીશોને ફાયર ટેન્ડરોને સ્ટેન્ડબાય રાખવા માટે આદેશ આપ્યા છે જેથી આવી કોઈ ઘટના ફરી ન બને.













