ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ મુશળધાર વરસાદને લીધે જનજીવન અને વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ખાસ કરીને શહેરને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. આ વિસ્તારમાંથી પસાર થતી આમલખાડી પણ બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે તેની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.


વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

પીરામણ ગામથી નેશનલ હાઇવેને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ તો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સામાન્ય રીતે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર માત્ર પાણી જ પાણી નજરે પડતું હતું. નીચાણવાળા વિસ્તારો અને ગલી-મહોલ્લાઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી હતી.

ભારે વરસાદના કારણે શહેરના વાતાવરણમાં આવ્યો બદલાવ

પાણી ભરાવાને કારણે કેટલાક દુકાનદારોને પણ નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ ભારે વરસાદના કારણે અંકલેશ્વરમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સતત વીજળીના કડાકા સાથે વરસાદ વરસતો હતો. વહીવટી તંત્ર દ્વારા આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. 

  • Follow us on: