બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાત્રે 10:26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે. સદનસીબે આ આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું નથી. સિઝમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે.
રાત્રે 10.26 કલાકે 2.8 ની તીવ્રતાનો આંચકો
ભૂકંપનો આંચકો રાત્રિના સમયે આવ્યો હોવાથી ઘણા લોકો પોતાના ઘરોમાં હતા. આંચકો અનુભવતા જ લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ટૂંકા સમય માટે જ આંચકો અનુભવાયો હોવાથી પરિસ્થિતિ તરત જ સામાન્ય બની ગઈ હતી. બનાસકાંઠા જિલ્લો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં નથી આવતો પરંતુ ભૂતકાળમાં પણ અહીં નાના-મોટા ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.













