બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકામાં હાલ યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. જેના કારણે ખેડૂતો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વાવણીનો સમય ચાલી રહ્યો છે અને આ સમયે જ ખાતર ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો તાત્કાલિક યુરિયા ખાતર ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોના હિતમાં અમે માર્ગ પર ઊતરીને આંદોલન કરીશું.


મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ગુલાબસિંહ રાજપૂતે પૂછ્યા સવાલ

ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ખુલ્લો સવાલ પૂછ્યો હતો કે જમીનમાં વાવણીની સમય છે પણ ખાતર વગર પાક કેવી રીતે વધશે? ખાતર નહીં મળે તો પાક નહીં થાય... ખેડૂતો માટે સરકાર શું કરે છે? યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોને પોતાના પાકના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

ખાતર નહીં મળે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે

ખેડૂતોને જો સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે. જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. ખાતરની અછતનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે અને ખેડૂતોને કેટલી ઝડપથી યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવે છે તે જોવું રહ્યું.

  • Follow us on: